શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની ભૂમિનો ઇતિહાસ (ભાગ 8)માં આપણે જોઈશું કે, વાલકેશ્વર, મનોર તથા વાપી જૈન સંઘને અને ખુદ અમને પણ આવી કલ્પના ન હતી કે ભગવાનના પગલા સૌ પ્રથમ Dharma Dham Tirth Durves ની આ ભૂમિ પર થશે ત્યારે તે શુભ દિવસે 300 કરતાં પણ વધારે ભાવિકો ઉપસ્થિત રહેશે અને એક મહોત્સવ ઉજવાશે. તે દિવસે પ્રભાતનાં પ્રથમ પહોરથી જ જાણે ઉમંગ, ઉલ્લાસ, આનંદનો વાયરો વાયો.
નવકારશી (સવારના નાસ્તો-ચા-પાણી) પતી ગયા પછી વાપી જૈન સંઘના મિત્રોનો આગ્રહ હતો કે અમને ભગવાનના દર્શન કરાવો. આથી અમે ટ્રસ્ટીઓને વિનંતી કરી કે જો ભગવાનના દર્શન કરાવી શકાય તો બધાને ખૂબ આનંદ થશે. ટ્રસ્ટીઓએ ડ્રાઈવરને સૂચના આપી કોઈપણ બે પેટી ખોલીને ભગવાનના દર્શન કરાવવા કહ્યું.
Dharma Dham Tirth Durves ખાતે ગૌતમસ્વામીના પ્રથમ દર્શન
એક ગાડી માંથી લાકડાની પ્રથમ પેટી ખોલવામાં આવી ત્યારે તે પેટીમાંથી ગૌતમ સ્વામી પ્રભુની પ્રતિમાજીના દર્શન થયા. બીજી પેટી ખોલતા તેમાંથી મુનિસુવ્રત સ્વામીના દર્શન થયા. યોગાનુયોગ એ દિવસે શનિવારનો દિવસ હતો અને મુનિસુવ્રત સ્વામી ભગવાનના દર્શન થતાં ઉપસ્થિત ભાવીકોને વિશેષ આનંદ થયો. વાપી જૈન સંઘે અમારા પરિવારનું બહુમાન કર્યું પરંતુ ખરેખર તો અમે તેમના આભારી હતા કારણ કે તેમની ઉપસ્થિતિથી આ પ્રસંગ દીપી ઉઠ્યો હતો.
આવો લાભ જીવનમાં મળવો એ સદ્ભાગ્ય કહેવાય. આ પ્રસંગે સૌથી વધારે ખુશ અમારા મમ્મી હતા. તેમણે ભગવાનના વિધિપૂર્વક દર્શન કર્યા. આ વિસ્તારમાં ભવ્ય જૈન તીર્થ નિર્માણ થશે એ સમાચારથી અને તે માટેના આ પ્રથમ પસંગે હાજર મનોર, પાલઘર સંઘમાં પણ ખૂબ આનંદ વ્યાપ્યો હતો.
બીજા દિવસે વાલકેશ્વરમાં ભગવાનનો વાજતે ગાજતે પ્રવેશ થવાનો હતો. ત્યાં અંજન શલાકા મહોત્સવ હતો. આ ઐતિહાસિક પ્રસંગે અમે સપરિવાર લાભ લીધો હતો. તે દિવસે શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈન તીર્થ (દુર્વેસ)ના પ્રતિમાજીઓનો વાજતે ગાજતે વાલકેશ્વર માં ભવ્ય પ્રવેશ થયો.
Dharma Dham Tirth Durves ના પ્રતિમાજીઓનો વાલકેશ્વર માં ભવ્ય પ્રવેશ
મહા સુદ ચૌદશ તારીખ 8/02/2009 રવિવારથી તા. 23/02/2009 સુધી 15 દિવસનો અંજન શલાકા મહોત્સવ શ્રી બાબુ અમીચંદ પનાલાલ જૈન દેરાસર, વાલકેશ્વર મુંબઇ ખાતે ઉજવાયો હતો. અંજન શલાકા વિધિ એટલે (પ્રભુની પ્રતિમાની આંખમાં ઉત્તમ સળી વડે ઉત્તમ પદાર્થનું વિધિપૂર્વક અંજન કરવું. ત્યારબાદ પ્રતિમાજીની પૂજા વિધિ થઈ શકે.)
બાબુ અમીચંદ પનાલાલ જૈન દેરાસર ખાતે અંજન શલાકા મહોત્સવ
અંજન શલાકા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. મહોત્સવ પૂર્ણ થયા બાદ દુર્વેસ ગામે ભૂમિ ઉપર શિખરબંધી જિનાલય જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી ભગવાન પરોણાગત મંદિરમાં બિરાજે તેવી પાકી વ્યવસ્થા કરવા માટેના કામની જવાબદારી માણેકભાઈ મહેતાને સોંપવામાં આવી હતી. માણેકભાઈએ રમેશભાઈ જેસર વાળાને સાથે રાખીને ભગવાનની પરોણાગત માટેનો ભવ્ય શેડ તૈયાર કરાવ્યો હતો.
એ સિવાય ઉપાશ્રય તરીકે ૯ નંબરના પ્લોટ પરનો અમારો પ્રથમ બંગલો અને ભોજનશાળા તરીકે કામ ચલાઉ પાંચ રૂમ પાછળની અમારી જમીનમાં બનાવવામાં આવી. એક જૈન અને જમીન માલિક તરીકે અમે આ કાર્યમાં જરૂરી સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો હતો. જોતજોતામાં ભગવાન બિરાજે તે માટેનો શેડ બનીને તૈયાર થઈ ગયો. આ તરફ એક મહિના કરતા પણ વધારે સમયથી વાલકેશ્વરમાં, મુંબઈની પ્રાચીન ધરોહર સમાન બાબુ અમીચંદ પનાલાલ જીનાલયમાં બિરાજમાન ભગવાનની પ્રતિમાજીઓ જલ્દી ક્યારે આ ભૂમિ ઉપર પધારે તેની આતુરતાપૂર્વક અમે રાહ જોઇ રહ્યા હતા.
Dharma Dham Tirth Durves ખાતે ભૂમિ પૂજન કાર્યક્રમ
તા. 12/03/2009ના રોજ વહેલી સવારે પૂ. ગુરુ ભગવંતો તથા ટ્રસ્ટીઓ અને લાભાર્થી પરિવાર તેમજ અમારા પરિવારની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમને આ કાર્યક્રમ માટે 11 તારીખ પહેલાં ફોન પર જાણકારી મળી હતી. એટલે અમે તા. 11/03/2009ની રાતથી જ સપરિવાર ફાર્મ હાઉસ પર આવી ગયા હતા. આમ તારીખ 12મી માર્ચના રોજ ભૂમિપૂજન સંપન્ન થયું.
તારીખ 13/03/2009નો દિવસ હતો. વાલકેશ્વરથી અમારા ઉપર ફોન આવ્યો કે ‘આવતીકાલે બધા ભગવાનનો વહેલી સવારે ભૂમિ ઉપર પ્રવેશ થશે. તમારા પરિવારે હાજર રહીને ભગવાનને પોંખવાની વિધિનો લાભ લેવાનો છે.’ અમારો પરિવાર તે દિવસે રાત્રે જ ફાર્મ હાઉસ પર પહોંચી ગયો હતો. પૂજ્ય ગુરુ ભગવંતો તથા સાધ્વીજી મહારાજ સાહેબોની ભૂમિ પર ઉપાશ્રયમાં સ્થિરતા હતી. વાલકેશ્વરથી ટ્રક અને ટેમ્પો આવી પહોંચ્યા અમે અનમ હોટેલ સુધી સામે જઈને વાજતે ગાજતે ભગવાનનું સામૈયું કર્યું. આ શુભ પ્રસંગે અનમ હોટલવાળા જયંતીભાઈ ગાલા પણ ઉપસ્થિત હતા. ખૂબ હર્ષોલ્લાસથી અમારા પરિવારે ભગવાનને પોખવાની વિધિ કરી.
Dharma Dham Tirth Durves ખાતે ભગવાનને પોંખવાની વિધિનો લાભ
તીર્થની ભૂમિ પર ભગવાનના પ્રવેશ વખતે આમ તો મૂળનાયક ભગવાનના અંજન-પ્રતિષ્ઠાના લાભાર્થી એશિયન સ્ટાર વાળા વિપુલભાઈ શાહ પરિવાર સહિત બીજા લાભાર્થી પરિવારે ભગવાનને પોંખવાની વિધિનો લાભ લેવાનો હતો પરંતુ કોઇ કારણોસર એ પરિવાર ઉપસ્થિત રહી શકે તેમ નહીં હોવાથી અમારા પરિવારે આ લાભ લેવાનો છે તેવી ગુરુ ભગવંતોની સૂચનાથી ટ્રસ્ટીઓ તરફથી અમને જાણ કરવામાં આવી હતી. આમ તારીખ 14/03/2009ના શુભ દિવસે અમારા પરિવારે ભગવાનને પોંખવાની વિધિનો લાભ લીધો હતો.
તે દિવસે અમને એક નવી જાણકારી મળી કે પ્રવેશ વખતે ભગવાનને તેડવા, આવકારવા માટે ભગવાન ઉપસ્થિતિ જરૂરી છે. પૂજારી તે દિવસે એક થાળમાં ભગવાનની પંચધાતુની પ્રતિમાજી લઈને ગેટ ઉપર ભગવાનને આવકારવા સામે ઉભા રહ્યા હતા. ગુરુ ભગવંતોની સુચના પ્રમાણે તમામ મંગલ વિધિ સંપન્ન થઈ હતી.
તા. 14 માર્ચના દિવસે ભગવાનનો પ્રવેશ અને
Related Link : તા. 15 માર્ચ 2009ના શુભ દિવસે શ્રી ધર્મધામ તીર્થની ખનન વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
પરોણાગત શેડનું કામ હજુ પૂરું થયું ન હતું. ટ્રક અને ટેમ્પોમાંથી લાકડાની પેટીઓમાં સ્થિત પ્રતિમાજીઓને નીચે ઉતારવામાં આવ્યા. બીજા દિવસે શેડની અંદર જે જગ્યાએ સ્થાપના કરવાની હતી તે જગ્યાએ સ્વસ્તિક, કંકુના થાપા તેમજ બીજી વિધિ કરવાનો લાભ પણ અમને મળ્યો હતો. શ્વેત આરસના પ્રતિમાજીઓની પેટીનું વજન ખૂબ વધારે હોવાથી તેમજ મૂળનાયક ભગવાનની સ્થાપના કરવા માટે ક્રેન (Crane)ની મદદ લેવામાં આવી હતી. આ કામગીરી અનુભવી ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ દેવચંદ સંઘવીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
Dharma Dham Tirth Durves પરિસરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
ભગવાનના આ ભૂમિ પર પ્રવેશ પહેલા જ આ ભૂમિ પર પ્રકૃતિની મહેર ઉતરી હતી; અને અંજનશલાકા થઈ આવ્યા બાદ ભગવાનના પ્રવેશ પછી દિવસે દિવસે પ્રકૃતિ સોળે કળાએ ખીલતી જતી હતી. આ પરિસરમાં પ્રવેશ કરનાર પ્રાણીમાત્રને મનમાં શાતા અને આનંદનો અનુભવ થતો હતો.
વર્તમાનમાં પણ Google Maps પર શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈન તીર્થ વિશે કોમેન્ટ્સમાં લોકો પોતાના અનુભવોનું વર્ણન કરતાં લખે છે કે આ સ્થાનમાં આવીને મનને શાંતિ મળે છે. આનંદ થાય છે.
જોકે ભૂતકાળની એક વાત આજે પણ મારા ભાઈને બરાબર યાદ છે. તે એ જ કે, અગાઉ જ્યારે આ જમીન અમે વેચવાના પ્રયત્નો કરતા હતા ત્યારે એક આર્કિટેક્ટ અને રિસોર્ટના માલિકેને મારા ભાઈએ ફોન કરીને કહ્યું કે ‘અમારી જમીન વેચવાની છે જો તમને રસ હોય તો…’ આ વાતનો એ રિસોર્ટના માલિકે ફોન પર મારા ભાઈને એવો જવાબ આપ્યો હતો કે
“તમારી જમીન બંજર છે, બંજર ! બંજર એટલે શું ખબર છે?”
આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો હતો. આજે જ્યારે એ વાતને યાદ કરીએ છીએ ત્યારે તફાવત સમજાય છે કે તેમની જમીન પર રિસોર્ટમાં લોકો ભોગવિલાસ માટે જાય છે જ્યારે અમારી જમીન પર તીર્થનું નિર્માણ થયું જ્યાં પ્રભુના દર્શન માત્રથી લોકોના આત્માનું કલ્યાણ થાય છે.
પ્રભુના દર્શન માત્રથી લોકોના આત્માનું કલ્યાણ
અહી એક બીજી વાત, મારા ભાઈને ઇતિહાસ વાંચવાનો શોખ છે. અમારું વતન વલભીપુર એક ઐતિહાસિક નગર છે. મારા ભાઈ એ વલભીપુરના ઇતિહાસના ઘણા બધા પુસ્તકો, ગ્રંથોનો અભ્યાસ કરીને તેના સાર રૂપે વલભીપુરના ઇતિહાસ વિષે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે, ‘પશ્ચિમ ભારતનો જરૂખો વલભી’ ઘણાં વર્ષો પહેલાં આ બાબતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ચંદ્રોદય સુરીશ્વરજી મહારાજ સાહેબે ભાવનગરમાં મારા ભાઈને કહ્યું હતું કે
“ઇતિહાસ લખવો એ ધૂળ ધોયાનું કામ છે.”
ધૂળ ધોયા એટલે સંશોધન, શોધનની પ્રક્રિયા. સોનાના દાગીના બનાવનારને ત્યાં સોનાના દાગીના ઘડતી વખતે અને દાગીનાને પોલિશ કરતી વેળાએ જે થોડુંક સોનું ઘસાય અને તેનાં ઝીણા ઝીણા રજકણો ધૂળ સાથે કચરામાં જતાં હોય તે ધૂળ-માટી સાથે મળેલા સોનાને ‘નિહારો’ કહેવામાં આવે છે. અમુક લોકો સોનીની દુકાન કે કારખાનાની પાસેથી શેરીમાંની-રસ્તાની ધૂળને એકઠી કરીને એ ધૂળ-માટીને સતત પાણીના પ્રવાહ વડે ધોઈ ધોઈને સોનાની રજકણોને એકઠી કરીને તેમાંથી શુદ્ધ સોનું પ્રાપ્ત કરે છે. આ કામ કરનારા લોકોને ધૂળ ધોયા કહેવામાં આવે છે.
આ વાતનો અત્રે ઉલ્લેખ કરવાનું તાત્પર્ય એટલું જ કે ઇ. સ.1995 પછી આ ભૂમિ સાથે સંકળાયેલી કેટલીક મહત્વની વાતોને વાગોળતાં જતાં, જૂની વાતો યાદ કરી કરીને તેને ક્રમબદ્ધ રીતે ફોટાઓ સહીત ગોઠવવાનું કામ ધૂળ ધોયા જેવુ જ કહી શકાય. આ બધી હકીકત ઇતિહાસ સ્વરૂપે પ્રગટ થાય છે માટે આ કાર્ય ખૂબ પ્રામાણિક રીતે અને કોઈ મહત્વનો પ્રસંગ ભુલાય નહી તે રીતે કરવાનું છે. લોક ડાઉન દરમિયાન મળેલા સમયનો સદુપયોગ કરી આફતને અવસરમાં બદલી શકાય તેમ કર્યું છે.
ક્રમશઃ